10
શાણપણભરી વાતો
જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે,
તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે.
બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે,
પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે.
વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે,
ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે,
અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું.
જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા,
કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે.
મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે,
અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ;
મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે,
જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે.
મેં ગુલામોને ઘોડે સવાર થયેલા
અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે.
જે ખાડો ખોદે છે
તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે.
જે માણસ પથ્થર ખસેડશે,
તેને જ તે વાગશે,
અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે.
10 જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે,
તો તેને વધારે શકિતની જરૂર પડે છે,
સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.
11 જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય,
તો મદારીની વિદ્યા નકામી છે.
12 જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે
પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે.
13 તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે,
અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે.
14 વળી મૂર્ખ માણસ વધારે બોલે છે,
પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી.
કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે?
15 મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે.
કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી.
16 જો તારો રાજા યુવાન હોય,
અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે!
17 તારો રાજા કુલીન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે,
તારા હાકેમો કેફને સારુ નહી
પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે.
ત્યારે તો તું આશીર્વાદિત છે!
18 આળસથી છાપરું નમી પડે છે,
અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે.
19 ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે,
અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે.
પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે.
20 રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ,
અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે,
કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે
અને પંખી તે વાત કહી દેશે.