20
આજ્ઞાભંગ માટે શિક્ષા
યહોવાહે મૂસાને કહ્યું, “તું ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ ઇઝરાયલી કે તેઓની મધ્યે રહેતો પરદેશી પોતાના કોઈપણ બાળકને મોલેખને ચઢાવે તો તેને મૃત્યુદંડ કરવો. દેશના લોકો તેને પથ્થરે મારે.
હું પોતે પણ તે માણસની વિરુદ્ધ મારું મુખ કરીશ અને તેના લોકોમાંથી તેને અલગ કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે અને મારા પવિત્ર નામને ભ્રષ્ટ કર્યુ છે. જો કોઈ માણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે અને તે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે, તો હું પોતે તેની અને તેના કુટુંબની વિમુખ થઈ જઈશ અને તેને અને તેની સાથે મોલેખની પાછળ જઈને તેની સાથે વ્યભિચાર કરનારાઓને હું નાબૂદ કરીશ.
જે વ્યક્તિ ભૂવાઓ અથવા દુષ્ટ આત્માઓ સાથે વાત કરનારા તથા તેમની સાથે વ્યભિચાર કરે અને સલાહ લે તેની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ; હું તેનો તેના લોકમાંથી નાશ કરીશ. તે માટે તમે પોતાને શુદ્ધ અને પવિત્ર કરો, કારણ કે, હું યહોવાહ તમારો પવિત્ર ઈશ્વર છું.
તમારે કાળજીપૂર્વક મારા સર્વ વિધિઓનું પાલન કરવું, કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.
જે કોઈ પોતાના પિતાને અને માતાને શાપ આપે તો તેને નિશ્ચે મૃત્યુદંડ આપવો. તેણે પોતાના પિતાને અથવા માતાને શાપ આપ્યો છે તેથી તે પોતાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર ગણાય.
10 જે કોઈ પુરુષ બીજા પુરુષની પત્ની સાથે વ્યભિચાર કરે અથવા પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે તેઓ બન્નેને નિશ્ચે મૃત્યુદંડ આપવો.
11 જે કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધે, તેણે પોતાના પિતાને કલંક લગાડે છે, તે બન્ને મૃત્યુદંડને પાત્ર થાય. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે.
12 કોઈ પુરુષ જો પોતાની પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તે બન્નેને મૃત્યુદંડ આપવો. તેઓએ અસ્વાભાવિક કાર્ય કર્યું છે. તેઓનો દોષ મૃત્યુને પાત્ર છે.
13 કોઈ પુરુષ જો અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ બાંધે તો તે બન્નેએ ધિક્કારપાત્ર કાર્ય કર્યુ છે, તેઓને મૃત્યુદંડ આપવો. તેઓનો દોષ મૃત્યુને લાયક છે.
14 કોઈ પુરુષ જો કોઈ સ્ત્રીને અને તેની માતાને એમ બન્નેની સાથે લગ્ન કરે તો તે દુષ્ટતા છે. તે પુરુષને અને તે બન્ને સ્ત્રીઓને અગ્નિમાં બાળી મૂકવાં. એ માટે કે તમારી મધ્યે કોઈ દુષ્ટતા રહે નહિ.
15 કોઈ પુરુષ જો કોઈ પશુ સાથે શારીરિક સંબંધ બાંધે, તો તેને મૃત્યુદંડ આપવો અને તે પશુને મારી નાખવું.
16 અને જો કોઈ સ્ત્રી કોઈ પશુ સાથે શારીરિક સંબંધ કરે, તો તે સ્ત્રીને અને પશુને બન્નેને મારી નાખવાં કારણ, તેઓનો દોષ એ સજાને લાયક છે.
17 જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માતાની પુત્રી સાથે લગ્ન કરે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધે તો એ શરમજનક કાર્ય છે. તેઓને તેઓના લોકોની વચ્ચેથી અલગ કરવા. કેમ કે એ વ્યક્તિએ પોતાની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે. તેનો દોષ તે પુરુષને માથે.
18 જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના માસિકસ્રાવ દરમિયાન શારીરિક સંબંધ બાંધે તો તેણે તેનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે અને તેણે પોતાનો લોહીકૂપ ખુલ્લો કર્યો છે. પુરુષ અને સ્ત્રી એ બન્નેને તેઓના લોકોમાંથી અલગ કરવા.
19 તારે તારી માતાની બહેન કે પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો કેમ કે એમ કરવાથી તું તેમને કલંકિત કરે છે. તેઓને તેઓના પાપની સજા થવી જ જોઈએ.
20 જો કોઈ માણસ પોતાના કાકાની પત્ની સાથે સૂઈ જાય, તો તે પોતાના કાકાને કલંક લગાડે છે. એ બન્નેને તેઓના પાપની સજા થવી જોઈએ. તેઓ નિઃસંતાન અવસાન પામશે.
21 જો કોઈ પુરુષ પોતાના ભાઈની સ્ત્રી સાથે લગ્ન કરે તો તે અપવિત્ર ગણાય; કેમ કે તેણે એના ભાઈને કલંક લગાડયું છે. એ બન્ને નિઃસંતાન અવસાન પામશે.
22 તમારે મારા તમામ વિધિઓ અને નિયમોનું પાલન કરવું અને તેને અનુસરવા; જેથી એમ ન થાય કે હું તમને જે દેશમાં લઈ જાઉં તે દેશ તમને ઓકી કાઢે.
23 અને જે દેશજાતિને હું તમારી આગળથી હાંકી કાઢી મૂકું છું તે દેશના લોકોના રિવાજો પાળવા નહિ. કેમ કે આ બધા કાર્યો તેઓ કરતા હતા અને હું તે કાર્યોને ધિક્કારું છું.
24 મેં તમને કહ્યું છે, તમે તે દેશનો વારસો પામશો; હું તમને દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ* આપીને તેનું વતન આપીશ. તમને બીજી દેશજાતિઓથી અલગ કરનાર તમારો ઈશ્વર યહોવાહ હું છું. 25 તમારે શુદ્ધ અને અશુદ્ધ પશુઓ અને પક્ષીઓ વચ્ચેનો ભેદ સમજવો. અને તે અશુદ્ધ પશુ કે પક્ષી અથવા ભૂમિ પર ચાલનારા જીવો કે જેમને મેં તમારાથી અલગ કર્યા છે તે વડે પોતાને અશુદ્ધ ન કરવા.
26 તમે પવિત્ર બનો, કેમ કે હું, યહોવાહ, પવિત્ર છું. અને મેં તમને બીજા લોકોથી અલગ કર્યા છે એ માટે કે તમે મારા થાઓ.
27 તમારામાંથી જે કોઈ પુરુષ કે સ્ત્રી ભૂવા કે જાદુગર હોય તેને મૃત્યુદંડ આપવો. લોકોએ તેઓને પથ્થરો વડે મારી નાખવાં. તેઓ દોષી છે અને તેઓ મૃત્યુને લાયક છે.
* 20:24 20:24 ફળદ્રુપ