27
દાનો કે ભેટ આપવા અંગેના નિયમો
યહોવાહે મૂસાની સાથે વાત કરીને કહ્યું, “ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ માણસ યહોવાહની આગળ ખાસ માનતા લે તો તારા નક્કી કરેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાહને સારુ માન્ય થશે.
તારું નક્કી કરેલું મૂલ્ય આ પ્રમાણે થાય; વીસથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું નક્કી કરેલું મૂલ્ય, પવિત્રસ્થાનના શેકેલ* પ્રમાણે પચાસ શેકેલ ચાંદી થાય. તે જ ઉંમરની નારી માટે તેનું મૂલ્ય ત્રીસ શેકેલ થાય.
પાંચથી વીસ વર્ષની ઉંમરના નરની કિંમત વીસ શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવું. એક મહિનાથી પાંચ વર્ષ સુધીના નરની કિંમત પાંચ શેકેલ ચાંદી અને નારીની કિંમત ત્રણ શેકેલ ચાંદી ઠરાવવું.
સાઠ વર્ષ અને તેની ઉપરની ઉંમરના નરની કિંમત પંદર શેકેલ અને નારીની કિંમત દસ શેકેલ ઠરાવવી. પણ જો કોઈ વ્યક્તિ માનતા લે અને આ કિંમત ચૂકવી શકે તેમ ના હોય, તો તેણે તે વ્યક્તિને યાજક સમક્ષ રજૂ કરવી અને યાજકે તેની કિંમત માનતા લેનાર વ્યક્તિ ચૂકવી શકે તેટલી નક્કી કરવી.
જો કોઈની ઇચ્છા યહોવાહને પશુનું અર્પણ કરવાની હોય અને જો યહોવાહ તેને માન્ય કરે તો પછી એ પશુ સંપૂર્ણપણે તેનું જ રહેશે. 10 એ વ્યક્તિએ તેમાં ફેરબદલ કરવી નહિ. સારાને બદલે નરસું તથા નરસાને બદલે સારું બદલવું નહિ. તે પશુની બીજા પશુ સાથે અદલાબદલી કરવી નહિ. છતાં જો અદલાબદલી કરી હોય તો બન્ને પશુઓ પવિત્ર બની જાય અને તે યહોવાહના ગણાય.
11 પરંતુ માનતા લઈ અર્પણ કરવાનું પશુ જો અશુદ્ધ હશે તો યહોવાહ તેને માન્ય નહિ કરે. પછી તેણે તે પશુ યાજક પાસે લઈને જવું. 12 બજારની કિંમત પ્રમાણે યાજક તેની કિંમત નક્કી કરે, પછી પશુ સારું હોય કે ખરાબ યાજકે ઠરાવેલ કિંમત માન્ય રાખવી. 13 અને જો તે વ્યક્તિ તેને છોડાવવા ઇચ્છતો હોય તો તેણે તેની કિંમત કરતાં પાંચમો ભાગ વધુ ચૂકવવો.
14 જો કોઈ વ્યક્તિ પોતાનું ઘર યહોવાહને સારુ પવિત્ર થવાને માટે અર્પણ કરે, ત્યારે યાજક તેની જે કિંમત નક્કી કરે તે કાયમ રહે. 15 પણ જો અર્પણ કરનાર ઘરનો માલિક પોતાનું ઘર છોડાવવા ઇચ્છે તો તેણે કિંમત ઉપરાંત વધુ વીસ ટકા આપવા, જેથી મકાન પાછું તેની માલિકીનું થઈ જાય.
16 જો કોઈ વ્યક્તિ પોતાની માલિકીની જમીનનો અમુક ભાગ યહોવાહને અર્પણ કરે તો તેની કિંમત તેને રોપવા માટે જરૂરી બીજની રકમ સાથે રાખવામાં આવશે, જેમ કે વીસ મણ જવની જરૂર પડે તો તેનું મૂલ્ય પચાસ શેકેલ ચાંદી થાય.
17 જો કોઈ માણસ જ્યુબિલી વર્ષમાં પોતાનું ખેતર સ્વેચ્છાએ અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેની કિંમત થાય. 18 પણ જો તે જ્યુબિલી વર્ષ પછી અર્પણ કરે તો યાજકે પછીના જ્યુબિલી વર્ષના જેટલા વર્ષ બાકી હોય તેના પ્રમાણમાં રોકડ કિંમત નક્કી કરવી અને તે આકડાં મુજબ કિંમત ઠરાવવી.
19 પરંતુ જો અર્પણ કરનાર ખેતર છોડાવવા માંગતો હોય તો તેણે ઠરાવેલી કિંમત કરતાં વીસ ટકા વધુ આપવા એટલે તે ખેતરની માલિકી ફરીથી તેની થાય. 20 પરંતુ જો તે જમીન નહિ છોડાવતાં બીજા કોઈને વેચી દે તો તેને તે કદી પાછું મળે નહિ. 21 પણ તેના બદલે જ્યારે જ્યુબિલી વર્ષમાં તે ખેતર છૂટે ત્યારે યહોવાહને સારુ અર્પિત ખેતર તરીકે તે યાજકોનું થાય.
22 જો કોઈ વ્યક્તિ પોતે ખરીદેલું ખેતર યહોવાહને અર્પણ કરે અને તે તેના કુટુંબની મિલકતનો ભાગ નથી, 23 તો પછી યાજકે બીજા જ્યુબિલી વર્ષને જેટલા વર્ષ બાકી હોય તેને આધારે તેની કિંમત ઠરાવવી અને તે વ્યક્તિએ નક્કી કરેલી કિંમત યહોવાહને તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે અર્પણ કરવી.
24 જ્યુબિલી વર્ષે એ ખેતર તેના મૂળ માલિક, જેની પાસેથી તે ખરીદયું હોય એટલે જેના વતનનું તે હતું તેને પાછું મળે. 25 જે કિંમત તું ઠરાવે તે બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું. વીસ ગેરાહનો એક શેકેલ થાય§.
26 કોઈ પણ વ્યક્તિએ બળદ અથવા ઘેટાનાં પ્રથમજનિતને ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને ચઢાવવું નહિ, કારણ, એ તો યહોવાહનું જ છે; પછી ભલે તે કોઈ પણ બળદ કે ઘેટું હોય. 27 જો અશુદ્ધ પશુના પ્રથમજનિતને અર્પણ તરીકે લાવવામાં આવે, તો યાજક તેની કિંમત ઠરાવે તે ઉપરાંત વીસ ટકા વધુ તે માલિક આપે. જો તેનો માલિક તેને છોડાવવા માંગતો ન હોય તો યાજક નિર્ધારિત કરેલી કિંમતે તે પશુને બીજા કોઈને વેચી શકે છે.
28 પરંતુ યહોવાહને કરેલું કોઈ પણ અર્પણ પછી તે માણસ હોય, પશુ હોય અથવા વારસામાં મળેલું ખેતર હોય, તો તેને વેચી અથવા છોડાવી શકાય નહિ. કારણ તે યહોવાહને સારુ પરમપવિત્ર અર્પણ છે. 29 જેનું અર્પણ માણસોમાંથી થયેલું હોય તેને પાછો ખરીદી ન શકાય. તેને નિશ્ચે મારી નાખવો.
30 જમીનની ઊપજનો ઠરાવેલો દશમો ભાગ પછી તે ખેતરના અનાજનો હોય કે વૃક્ષનાં ફળોનો હોય તે યહોવાહનો ગણાય, તે યહોવાહને સારુ પવિત્ર છે. 31 જો કોઈ વ્યક્તિ આ અનાજ કે ફળનો દશમો ભાગ પાછો ખરીદવા ઇચ્છે તો તેની કિંમતમાં વીસ ટકા ઉમેરીને ચૂકવે.
32 જાનવરો તથા ઘેટાંબકરાંનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાહને સારુ પવિત્ર ગણાય. 33 પસંદ કરેલુ પશુ સારું છે કે ખરાબ તેની તપાસ તેણે ન કરવી. તેને એ પશુ બીજા પશુ સાથે અદલાબદલી ન કરવી. અને તેને જો બીજા પશુથી બદલવા માંગે, તો બન્ને પશુઓ યહોવાહના થાય. તે પશુને પાછું ખરીદી શકાય નહિ.’ ”
34 ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ મૂસાને યહોવાહે સિનાઈ પર્વત પર આપી હતી તે આ છે.
* 27:3 27:3 પવિત્રસ્થાનના શેકેલ 1 શેકેલ - 6 કિલોગ્રામ, આ માપ યાજકો દ્વારા નક્કી કરાયેલ છે. 27:16 27:16 તેની મૂલ્ય વાવણીમાંથી મળેલી બીજ જેટલી છે 27:16 27:16 વીસ મણ 300 કિલોગ્રામ § 27:25 27:25 વાંચો: નિર્ગ. 30:13