15
ઈસુ પિલાત સમક્ષ
માથ. 27:1-2,11-14; લૂક 23:1-5; યોહ. 18:28-38
સવાર થઈ કે મુખ્ય યાજકોએ, વડીલો, શાસ્ત્રીઓ તથા આખી ન્યાયસભાએ સાથે મળીને કાવતરું રચ્યું. પછી તેઓ ઈસુને બાંધીને લઈ ગયા અને પિલાતને સોંપી દીધાં. પિલાતે ઈસુને પૂછ્યું કે, ‘શું તું યહૂદીઓનો રાજા છે?’ તેમણે જવાબ આપતાં તેને કહ્યું કે, ‘તું કહે છે તે જ હું છું.’ ” મુખ્ય યાજકોએ તેમના પર ઘણાં આક્ષેપો મૂક્યા.
પિલાતે ફરી તેમને પૂછતાં કહ્યું કે, ‘શું તું કંઈ જ જવાબ આપતો નથી? જો, તેઓ તારા પર કેટલા બધા આક્ષેપો મૂકે છે!’ પણ ઈસુએ બીજો કોઈ જવાબ આપ્યો નહિ, જેથી પિલાતને આશ્ચર્ય થયું.
ઈસુને મૃત્યુની સજા ફરમાવી
માથ. 27:15-26; લૂક 23:13-25; યોહ. 18:39-19:16
આ પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે તેને તે છોડી દેતો હતો. કેટલાક દંગો કરનારાઓએ હુલ્લડમાં ખૂન કર્યું હતું તેઓની સાથે કેદમાં પડેલો એવો બરાબાસ નામનો એક માણસ હતો. લોકો ઉપર ચઢીને પિલાતને વિનંતી કરવા લાગ્યા કે, ‘જેમ તમે અમારે સારુ દર વખતે કરતા હતા તે પ્રમાણે કરો.’ ”
પિલાતે તેઓને જવાબ આપતાં કહ્યું કે, ‘શું તમારી મરજી એવી છે કે, હું તમારે સારુ યહૂદીઓના રાજાને મુક્ત કરું?’ ” 10 કેમ કે તે જાણતો હતો કે મુખ્ય યાજકોએ અદેખાઈને લીધે તેમને સોંપી દીધાં હતા. 11 પણ મુખ્ય યાજકોએ લોકોને ઉશ્કેર્યા, એ સારુ કે ઈસુને બદલે તે તેઓને માટે બરાબાસને મુક્ત કરે.
12 પણ પિલાતે ફરી તેઓને કહ્યું કે, ‘જેને તમે યહૂદીઓનો રાજા કહો છો, તેનું હું શું કરું?’ ” 13 તેઓએ ફરી બૂમ પાડી કે, ‘તેને વધસ્તંભે જડાવો.’ ”
14 પિલાતે તેઓને કહ્યું કે, ‘શા માટે? તેણે શું ખરાબ કર્યું છે?’ પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘ઈસુને વધસ્તંભે જડાવો.’ ” 15 ત્યારે પિલાતે લોકોને રાજી કરવા તેઓને સારુ બરાબાસને જતો કર્યો. અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડવા સારુ સોંપ્યાં.
સિપાઈઓ ઈસુની મશ્કરી કરે છે
માથ. 27:27-31; યોહ. 19:2-3
16 સિપાઈઓ ઈસુને પ્રૈતોર્યુમ નામે કચેરીમાં લઈ ગયા; અને તેઓએ ચોકીદારોની આખી ટુકડીને બોલાવ્યા. 17 તેઓએ તેમને જાંબુડિયો ઝભ્ભો પહેરાવ્યો અને કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; 18 અને ‘હે યહૂદીઓના રાજા, સલામ!’ એમ કહીને મશ્કરીમાં તેમને નમસ્કાર કરવા લાગ્યા.
19 તેઓએ તેમના માથામાં સોટી મારી, ઈસુના પર થૂંક્યાં અને ઘૂંટણ ટેકીને તેમની આગળ નમ્યાં. 20 તેમની મશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમના અંગ પરથી જાંબુડિયો ઝભ્ભો ઉતારી લીધો અને તેમના પોતાનાં વસ્ત્રો તેમને પહેરાવ્યાં; પછી વધસ્તંભે જડવા સારુ તેમને લઈ જવામાં આવ્યા.
ઈસુનો ક્રૂસ મૃત્યુ
માથ. 27:32-44; લૂક 23:26-43; યોહ. 19:17-27
21 સિમોન નામે કુરેનીનો એક માણસ જે આલેકસાંદરનો તથા રૂફસનો પિતા હતો, તે ખેતરથી આવતાં ત્યાં થઈને જતો હતો. તેની પાસે સિપાઈઓએ બળજબરીથી ઈસુનો વધસ્તંભ ઊંચકાવ્યો. 22 ગલગથા નામની જગ્યા, જેનો અર્થ ‘ખોપરીની જગ્યા’ છે, ત્યાં તેઓ તેમને લાવ્યા. 23 તેઓએ બોળ મિશ્રિત દ્રાક્ષારસ તેમને આપ્યો; પણ ઈસુએ તે પીવાની ના પાડી. 24 સિપાઈઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં અને તેઓમાંના પ્રત્યેકે ઈસુના વસ્ત્રનો કયો ભાગ લેવો, તે જાણવા માટે ચિઠ્ઠીઓ નાખી. તેઓએ તેમના વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં.
25 સવારમાં લગભગ નવ વાગ્યે તેઓએ ઈસુને વધસ્તંભે જડ્યાં. 26 તેના ઉપર ઈસુનું એવું તહોમતનામું લખ્યું હતું કે “યહૂદીઓનો રાજા.” 27 ઈસુની સાથે તેઓએ બે ચોરોને વધસ્તંભે જડ્યાં, એકને તેમની જમણી તરફ અને બીજાને ડાબી તરફ. 28 “તે અપરાધીઓમાં ગણાયો,” એવું જે શાસ્ત્રવચન હતું તે પૂરું થયું.
29 પાસે થઈને જનારાંઓએ ઈસુનું અપમાન કર્યું તથા માથાં હલાવતાં કહ્યું કે, ‘વાહ રે! મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, 30 તું પોતાને બચાવ અને વધસ્તંભ પરથી ઊતરી આવ.’ ”
31 એ જ પ્રમાણે મુખ્ય યાજકોએ અંદરોઅંદર શાસ્ત્રીઓ સહિત મશ્કરી કરીને કહ્યું કે, ‘તેણે બીજાઓને બચાવ્યા, પણ પોતાને બચાવી શકતો નથી. 32 ઇઝરાયલના રાજા, ખ્રિસ્ત, હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવ, કે અમે જોઈને વિશ્વાસ કરીએ.’ ” વળી જેઓ ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા હતા તેઓએ પણ તેમની નિંદા કરી.
ઈસુનું મૃત્યુ
માથ. 27:45-46; લૂક 23:44-49; યોહ. 19:28-30
33 બપોરના લગભગ બારથી ત્રણ વાગ્યા સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 34 બપોરે લગભગ ત્રણ વાગ્યે ઈસુએ મોટે ઘાંટે બૂમ પાડી કે, ‘એલોઈ, એલોઈ લમા શબક્થની, એટલે, મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?’ ” 35 જેઓ પાસે ઊભા રહેલા હતા તેઓમાંના કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘જુઓ, તે એલિયાને બોલાવે છે.’ ”
36 એક માણસે દોડીને સિરકામાં પલાળેલી વાદળી લાકડાની ટોચે બાંધીને તેમને ચૂસવા આપીને કહ્યું કે, ‘રહેવા દો, આપણે જોઈએ કે, એલિયા તેને ઉતારવાને આવે છે કે નહિ?’ ” 37 ઈસુએ મોટી બૂમ પાડીને પ્રાણ છોડ્યો. 38 મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થયા.
39 જે સૂબેદાર તેમની સામે ઊભો હતો, તેણે જયારે જોયું કે તેમણે આવી રીતે પ્રાણ છોડ્યો, ત્યારે તેણે કહ્યું કે, ‘ખરેખર આ માણસ ઈશ્વરના દીકરા હતા.’ ” 40 કેટલીક સ્ત્રીઓ પણ દૂરથી જોતી હતી; તેઓમાં મગ્દલાની મરિયમ, નાના યાકૂબ તથા યોસેની મા મરિયમ અને શાલોમી હતી. 41 જયારે ઈસુ ગાલીલમાં હતા ત્યારે તેઓ તેમની પાછળ ચાલીને તેમની સેવા કરતી હતી; અને તેમની સાથે યરુશાલેમમાં આવેલી બીજી પણ ઘણી સ્ત્રીઓ ત્યાં હતી.
ઈસુનું દફન
માથ. 27:57-61; લૂક 23:50-56; યોહ. 19:38-42
42 સાંજ પડી ત્યારે સિદ્ધીકરણનો દિવસ, એટલે વિશ્રામવારની આગળનો દિવસ હતો, માટે, 43 ન્યાયસભાનો એક માનવંતો સભાસદ, એટલે અરિમથાઈનો યૂસફ આવ્યો. તે પોતે પણ ઈશ્વરના રાજ્યની વાટ જોતો હતો; તેણે હિંમત રાખીને પિલાતની પાસે જઈને ઈસુનો દેહ માગ્યો. 44 પિલાત આશ્ચર્ય પામ્યો કે, ‘શું તે એટલો જલદી મૃત્યુ પામ્યો હોય!’ તેણે સૂબેદારને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે, ‘ઈસુને મૃત્યુ પામ્યાને કેટલો વખત થયો?’ ”
45 સૂબેદાર પાસેથી તે વિષે ખબર મળી ત્યારે પિલાતે યૂસફને એ દેહ અપાવ્યો. 46 યૂસફે શણનું વસ્ત્ર વેચાતું લીધું, મૃતદેહને ઉતારીને તેને શણના વસ્ત્રમાં વીંટાળ્યો અને ખડકમાં ખોદેલી એક કબરમાં દફનાવ્યો. અને તે કબર પર પથ્થર ગબડાવી મૂક્યોં. 47 તેમને ક્યાં મૂક્યા એ મગ્દલાની મરિયમ તથા યોસેની મા મરિયમે જોયું.