10
સુલેમાનનાં નીતિવચનો
સુલેમાનનાં નીતિવચનો.
જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે
પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.
દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી,
પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે.
યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ
પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે.
નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે.
પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે.
ડાહ્યો દીકરો ઉનાળાંમાં સંગ્રહ કરે છે
પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે.
સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે,
પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે;
પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે.
જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે,
પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે.
જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે,
પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે.
10 જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે,
પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે*.
11 સદાચારીનું મુખ જીવનનો ઝરો છે,
પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે.
12 દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે,
પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે.
13 જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે,
જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે.
14 જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે,
પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે.
15 દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે;
પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે.
16 સદાચારી માણસની કમાણી જીવન સાધક છે;
પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે.
17 જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે,
પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે.
18 જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે
પણ ચાડી કરનાર મૂર્ખ છે.
19 ઘણું બોલવામાં દોષની અછત નથી,
પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે.
20 સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે;
પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહુ નીચું છે.
21 નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે,
પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે.
22 યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે
અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી.
23 દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે,
પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે.
24 દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે,
પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.
25 વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી,
પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે.
26 જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે,
તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે.
27 યહોવાહનો ભય આયુષ્ય વધારે છે,
પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે.
28 સદાચારીની આશાનું પરિણામ આનંદ છે,
પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે.
29 જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે,
પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે.
30 સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ,
પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ.
31 સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે,
પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે.
32 સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે.
પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે.
* 10:10 10:10 જે નિર્ભયતાથી ઠપકો આપે છે તે બીજાઓ સાથે શાંતિમાં રહે છે