15
નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે,
પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.
જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે,
પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.
યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે,
તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.
નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે,
પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.
મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે,
પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.
નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે,
પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.
જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે,
પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે,
પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.
દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે,
પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.
10 સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે,
અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.
11 શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે;
તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?
12 તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી;
અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી.
13 અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે,
પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.
14 જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે,
પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.
15 જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે,
પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.
16 ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય
પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે.
17 વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં
પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.
18 ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે,
પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.
19 આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે,
પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.
20 ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે,
પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.
21 અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે,
પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે.
22 સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે,
પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે.
23 પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે;
અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!
24 જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે,
જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે.
25 યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે,
પણ વિધવાની હદ તે કાયમ રાખશે.
26 દુષ્ટની યોજનાઓથી યહોવાહ કંટાળે છે,
પરંતુ તેમની દૃષ્ટિએ દયાળુના શબ્દો શુદ્ધ છે.
27 જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે,
પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.
28 સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે,
પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે.
29 યહોવાહ દુષ્ટથી દૂર રહે છે,
પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.
30 આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે*,
અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.
31 ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત
સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.
32 શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે,
પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.
33 યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે,
પહેલા દીનતા છે અને પછી માન છે.
* 15:30 15:30 હસતાં ચેહરો 15:30 15:30 હાડકાં