16
ઈશ્વરના કોપના સાત પ્યાલાં
એક મોટી વાણી ભક્તિસ્થાનમાંથી મેં સાંભળી, તેણે સાત સ્વર્ગદૂતોને એમ કહ્યું કે, ‘તમે જાઓ ને ઈશ્વરના કોપના સાત પ્યાલાં પૃથ્વી પર રેડી દો.’ ”
પહેલો સ્વર્ગદૂત ગયો, અને તેણે પોતાનો પ્યાલો પૃથ્વી પર રેડયો, અને જે માણસો હિંસક પશુની છાપ રાખતાં હતાં અને તેની મૂર્તિને પૂજતાં હતાં, તેઓ પર ત્રાસદાયક તથા દુઃખદાયક ગૂમડાં ફૂટી નીકળ્યાં.
બીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સમુદ્ર પર રેડ્યો એટલે સમુદ્ર મૃતદેહના લોહી જેવો થયો, અને જે સઘળા સજીવ પ્રાણી સમુદ્રમાં હતા તે મરણ પામ્યા.
ત્રીજા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો નદીઓ પર તથા પાણીના ઝરાઓ પર રેડયો, અને પાણી લોહી થઈ ગયા. મેં પાણીના સ્વર્ગદૂતને બોલતાં સાંભળ્યો કે, ‘તમે ન્યાયી છો, તમે જે છો અને જે હતા, પવિત્ર ઈશ્વર, કેમ કે તમે અદલ ન્યાયચુકાદો કર્યા છે; કારણ કે તેઓએ તમારા સંતોનું તથા પ્રબોધકોનું લોહી વહેવડાવ્યું, અને તમે તેઓને લોહી પીવાને આપ્યું છે; તેઓ તેને માટે લાયક છે.’ ” યજ્ઞવેદીમાંથી એવો અવાજ મેં સાંભળ્યો કે, ‘હા, ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા ન્યાયી છે.’ ”
ચોથા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો સૂરજ પર રેડયો; એટલે તેને આગથી માણસોને બાળી નાખવાની શક્તિ આપવામાં આવી; તેથી માણસો આગની આંચથી દાઝ્યાં. ઈશ્વર, જેમને આ આફતો પર અધિકાર છે, તેમના નામની વિરુદ્ધ દુર્ભાષણ કરી તેઓએ તેમને મહિમા આપ્યો નહિ અને પસ્તાવો કર્યો નહિ.
10 પાંચમા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો હિંસક પશુના રાજ્યાસન પર રેડયો; અને તેના રાજ્ય પર અંધારપટ છવાયો; અને તેઓ પીડાને લીધે પોતાની જીભોને કરડવા લાગ્યા, 11 અને પોતાની પીડાઓને લીધે તથા પોતાનાં ગુમડાંઓને લીધે તેઓએ સ્વર્ગના ઈશ્વરની વિરુદ્ધ દુર્ભાષણ કર્યું; પણ પોતાનાં કામોનો પસ્તાવો કર્યો નહિ.
12 પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો મોટી નદી એટલે યુફ્રેતિસ પર રેડ્યો અને તેનું પાણી સુકાઈ ગયું, એ માટે કે પૂર્વેથી જે રાજાઓ આવનાર છે તેઓનો રસ્તો તૈયાર થાય. 13 ત્યારે પેલા અજગરના મોંમાંથી, હિંસક પશુના મોંમાંથી તથા જૂઠાં પ્રબોધકના મોંમાંથી નીકળતા દેડકા જેવા ત્રણ અશુદ્ધ આત્મા મેં જોયા; 14 કેમ કે તેઓ ચમત્કારિક ચિહ્નો કરનારા દુષ્ટાત્માઓ છે, કે જેઓ આખી દુનિયાના રાજાઓ પાસે જાય છે એ માટે કે સર્વસમર્થ ઈશ્વરના મહાન દિવસની લડાઈને સારુ તેઓ તેઓને એકત્ર કરે. 15  જુઓ ચોરની જેમ હું આવું છું, જે જાગૃત રહે છે, અને પોતાનાં વસ્ત્ર એવાં રાખે છે કે પોતાને નિર્વસ્ત્ર જેવા ન ચાલવું પડે, અને તેની શરમજનક પરિસ્થિતિ ન દેખાય, તે આશીર્વાદિત છે. 16 ત્યારે હિબ્રૂ ભાષામાં ‘આર્માંગેદન’ કહેવાતી જગ્યાએ, તેઓએ તેઓને એકત્ર કર્યાં.
17 પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનો પ્યાલો વાતાવરણમાં રેડયો, એટલે મંદિરમાંના રાજ્યાસનમાંથી મોટી વાણી એવું બોલી કે, સમાપ્ત થયું; 18 અને વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ થયાં; વળી મોટો ધરતીકંપ થયો. તે એવો ભયંકર તથા ભારે હતો કે માણસો પૃથ્વી પર ઉત્પન્ન થયાં ત્યારથી એના જેવો કદી થયો નહોતો. 19 મોટા નગરના ત્રણ ભાગ થઈ ગયા, અને રાષ્ટ્રોનાં શહેરો નષ્ટ થયાં; અને ઈશ્વરને મોટા બાબિલની યાદ આવી, એ માટે કે તે પોતાના સખત કોપના દ્રાક્ષારસનો પ્યાલો તેને આપે.
20 ટાપુઓ અદ્રશ્ય થઈ ગયા, અને પહાડોનો પત્તો લાગ્યો નહિ. 21 અને આકાશમાંથી આશરે ચાલીસ કિલોગ્રામનાં કરા માણસો પર પડ્યા અને કરાની આફતને લીધે માણસોએ ઈશ્વરને શ્રાપ આપ્યો કેમ કે તે આફત અતિશય ભારે હતી.