4
જ્ઞાનની ફળપ્રાપ્તિ
દીકરાઓ, પિતાની શિખામણ સાંભળો,
સમજણ મેળવવા માટે ધ્યાન આપો.
હું તમને ઉત્તમ બોધ આપું છું;
મારા શિક્ષણનો ત્યાગ કરશો નહિ.
જ્યારે હું મારા પિતાનો માનીતો દીકરો હતો,
ત્યારે હું મારી માતાની દૃષ્ટિમાં સુકુમાર તથા એકનોએક હતો,
ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતું કે,
“તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે
અને મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે.
ડહાપણ પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર;
એ ભૂલીશ નહિ અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વળીશ નહિ.
ડહાપણનો ત્યાગ ન કરીશ અને તે તારું રક્ષણ કરશે,
તેના પર પ્રેમ રાખજે અને તે તારી સંભાળ રાખશે.
ડહાપણ એ ખૂબ જ મહત્વની બાબત છે, તેથી ડહાપણ પ્રાપ્ત કર
અને તારું જે કંઈ છે તે આપી દે, એનાથી તને બુદ્ધિ પ્રાપ્ત થશે.
તેનું સન્માન કર અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે;
જ્યારે તું તેને ભેટશે, ત્યારે તે તને પ્રતિષ્ઠિત કરશે.
તે તારા માથાને શોભાનો શણગાર પહેરાવશે;
તે તને તેજસ્વી મુગટ આપશે.”
સીધો અને અવળો માર્ગ
10 હે મારા દીકરા, મારી વાતો સાંભળીને ધ્યાન આપ
એટલે તારા આયુષ્યનાં વર્ષો વધશે.
11 હું તને ડહાપણનો માર્ગ બતાવીશ;
હું તને પ્રામાણિકપણાને માર્ગે દોરીશ.
12 જ્યારે તું ચાલશે, ત્યારે તારાં રસ્તામાં કોઈ ઊભો રહી નહિ શકે
અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.
13 શિખામણને મજબૂત પકડી રાખ, તેને છોડતો નહિ;
તેની કાળજી રાખજે, કારણ કે તે જ તારું જીવન છે.
14 દુષ્ટ માણસોના માર્ગને અનુસરીશ નહિ
અને ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.
15 તે માર્ગે ન જા, તેનાથી દૂર રહેજે;
તેનાથી પાછો ફરી જઈને ચાલ્યો જા.
16 કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી
અને કોઈને ફસાવે નહિ, તો તેમની ઊંઘ ઊડી જાય છે.
17 કારણ કે તેઓ દુષ્ટતાને અન્ન તરીકે ખાય છે
અને જોરજુલમને દ્રાક્ષારસની જેમ પીએ છે.
18 પણ સદાચારીઓનો માર્ગ પ્રભાતના પ્રકાશ જેવો છે;
જે દિવસ થતાં સુધી વધતો અને વધતો જાય છે.
19 દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે,
તેઓ શા કારણથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.
20 મારા દીકરા, મારાં વચનો ઉપર ધ્યાન આપ;
મારાં વચન સાંભળ.
21 તારી આંખ આગળથી તેઓને દૂર થવા ન દે;
તેને તારા હૃદયમાં સંઘરી રાખ.
22 જે કોઈને મારાં વચનો મળે છે તેના માટે તે જીવનરૂપ છે
અને તેઓના આખા શરીરને આરોગ્યરૂપ છે.
23 પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ,
કારણ કે તેમાંથી જ જીવનનો ઉદ્દભવ છે.
24 કુટિલ વાણી તારી પાસેથી દૂર કર
અને ભ્રષ્ટ વાત તારાથી દૂર રાખ.
25 તારી આંખો સામી નજરે જુએ
અને તારાં પોપચાં તારી આગળ સીધી નજર નાખે.
26 તારા પગનો માર્ગ સપાટ કર;
પછી તારા સર્વ માર્ગો નિયમસર થાય.
27 જમણે કે ડાબે વળ્યા વિના સીધા માર્ગે જજે;
દુષ્ટતાથી તારો પગ દૂર કર.